આણંદ, શુક્રવાર:
આણંદના મોગર ગામે સ્થિત શંકરા આંખની હોસ્પિટલ ખાતે આજે સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે અદ્યતન ત્રિનેત્ર રેટિના (પડદા) કેમેરાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ આધુનિક મશીન દ્વારા દર્દીઓને ચોકસાઈપૂર્વક નિદાન મળશે અને હોસ્પિટલ દ્વારા આયોજિત ગ્રામ્ય કેમ્પોમાં પણ તેની મોટી મદદ મળશે. તેમણે હોસ્પિટલને વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો સુધી આ સેવાનો લાભ પહોંચાડવા અનુરોધ કર્યો.


હોસ્પિટલના યુનિટ હેડ કર્નલ સુદીપકુમાર મહેતાએ જણાવ્યું કે, ૨૦૦૮થી અત્યાર સુધી હોસ્પિટલમાં ૨.૧૫ લાખથી વધુ મફત આંખની સર્જરી, ૩૫૦૦થી વધુ કેમ્પો તેમજ ૨૫ હજારથી વધુ ચૂકવણી કરાયેલી શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી છે. તેમાં આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ ૨૦૦૦થી વધુ દર્દીઓને લાભ અપાયો છે.
હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. નિશા આહુજાએ જણાવ્યું કે, આ પ્રકારનો કેમેરો આ વિસ્તારમાં પ્રથમવાર સ્થાપિત થયો છે અને તેને સુપર સ્પેશિયાલિટી ઉપકરણ માનવામાં આવે છે. આ કેમેરાનો મુખ્ય ઉપયોગ **અકાળે જન્મેલા બાળકો (૩૪ અઠવાડિયા પહેલાં જન્મેલા અથવા બે કિલોથી ઓછા વજનવાળા)ની આંખની તપાસ માટે થશે. આવા બાળકોમાં રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી (ROP) નામનો ગંભીર રોગ વિકસે છે, જે સમયસર સારવાર ન મળે તો અંધત્વનું કારણ બની શકે છે.
હાલમાં ROP સ્ક્રીનીંગ માટે ખાસ તાલીમ પામેલા ડૉક્ટરો NICUમાં જઈ તપાસ કરે છે, જેમાં શંકરા આંખ હોસ્પિટલની ડૉ. બિરવા દવે પણ સામેલ છે. આ મશીન સાથે હવે સ્ક્રીનીંગ વધુ વ્યાપક બનશે અને અનેક બાળકોને સમયસર સારવાર મળી અંધત્વ અટકાવવામાં મદદ મળશે
