રાજકોટ જિલ્લાના ઢાંક ગામના સિદ્ધિવિનાયક ગણેશ મંદિરની અનોખી પરંપરા – દેશવિદેશથી ભક્તો ટપાલ દ્વારા કરે છે બાપ્પાને સંવાદ”


રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા:
ઉપલેટાના ઢાંક ગામમાં સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર છે. અહીં સ્વયં પ્રગટ થયેલા દૂધાળા દેવ ગણપતિ મહારાજ ભક્તોના દુઃખ દૂર કરે છે. મંદિરની સૌથી વિશેષ પરંપરા એ છે કે ભક્તો પોતાનું મનગમતું સંદેશા અથવા સમસ્યા પત્ર સ્વરૂપે બાપ્પાને મોકલે છે.


પૂજારી ભરતગિરિ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આ પરંપરા લગભગ ૩૫ વર્ષ પહેલાં શરૂ થઈ હતી. સામાન્ય દિવસોમાં રોજ ૧૫થી ૨૦ જેટલા પત્રો ભક્તો તરફથી આવે છે. આ પત્રોમાં ભક્તો પોતાની આર્થિક પરિસ્થિતિ, લગ્નપ્રસંગ, કુટુંબની સમસ્યાઓ કે અંગત જીવનના સંકટોની વાત લખે છે. પૂજારીશ્રી એ તમામ પત્રો એકાંતમાં વાંચીને ગણપતિને સંભળાવે છે.


આ મંદિરની અનોખી વાત એ છે કે અહીં બાપ્પા ઉંદર નહીં પરંતુ સિંહ પર આરુઢ છે. તેમજ મંદિર તરફથી કોઈ ફાળો ઉઘરાવવામાં આવતો નથી, શ્રદ્ધાળુ પોતે ઇચ્છે ત્યારે દાન અર્પણ કરે છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ સહિત દેશવિદેશમાંથી ભક્તો પત્ર મોકલે છે અને પોતાનું મન બાપ્પા સમક્ષ ખોલે છે.


હાલમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ઢાંક ગામમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચોતરફ “ગણપતિ બાપા મોરયા” ના ગગનભેદી નાદ વચ્ચે ૧૧ દિવસીય ઉત્સવની ધૂમ મચી રહી છે.
