ઓડ, તા. ૨૫ ઓગસ્ટ:
ઓડ શહેરના શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે સાંજે ૬:૩૦ વાગ્યે “છાક લીલા” મનોરથનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય માહોલથી છલકાયું હતું અને મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો


આ મનોરથમાં મનોરથી તરીકે મુકુન્દભાઈ જમનાદાસ પટેલ (સૂર્ય જર્દા પરિવાર) જોડાયા હતા. મંદિરના મુખ્યાજીશ્રી દ્વારા તેમનું પરંપરાગત સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. સમાજના આગેવાનો તથા ભક્તોએ પણ મુકુન્દભાઈને શુભકામનાઓ પાઠવી હતી.


કાર્યક્રમ દરમ્યાન વૈષ્ણવ ભજનોની મનોહર રમઝટ ગુંજતા સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિભાવનું વાતાવરણ છવાઈ ગયું હતું. ભક્તોએ તાળીઓ સાથે ભજનોનો આનંદ માણ્યો અને ભક્તિરસમાં લીન થઈ ગયા.

મનોરથ પ્રસંગે ઉપસ્થિત તમામ વૈષ્ણવ ભક્તો માટે પ્રસાદીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજથી જ ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવ સાથે પ્રસાદીનો સ્વાદ માણ્યો હતો.
ભાદરવા સુદ બીજના આ દિવસે આયોજિત “છાક લીલા” મનોરથ સ્થાનિક વૈષ્ણવ પરંપરા મુજબ ખૂબ જ શ્રદ્ધા અને ભાવનાથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ભક્તો પોતાના કુટુંબ સાથે ઉપસ્થિત રહીને ગોવર્ધનનાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે.
