આણંદ જિલ્લાનું ઓડ શહેર : તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫

ઓડ શહેરમાં આવેલું ૩૫૦ વર્ષથી પણ વધુ ઇતિહાસ ધરાવતું સુપ્રસિદ્ધ શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર આજે ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. શાવન માસના છેલ્લા દિવસ શનિવાર અમાસના પાવન પ્રસંગે ઓડ વિરજી કાકાની ખડકીના દાતાશ્રી પંકજબેન રાહુલકુમાર પટેલના દાનથી ઘી કમળ, ફૂલવાડી તથા પ્રસાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


દર વર્ષે પરંપરાગત રીતે શિવભક્તો દ્વારા ઘી ના કમળ બનાવવાની પરંપરા અનુસરી આવે છે. આજે સવારથીજ મંદિરે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભક્તોએ મહાદેવને બિલ્વપત્ર, ફૂલ તથા દૂધથી અભિષેક કરી પૂજા-અર્ચના કરી અને મનોભાવ વ્યક્ત કર્યા.

સ્થાનિક ભક્તોના જણાવ્યા મુજબ આ મહાદેવ પ્રત્યે શ્રદ્ધા રાખનારની દરેક મનોકામના પૂર્ણ થતી જોવા મળી છે. કેટલાય યુવાનો આ શિવકૃપાથી વિદેશમાં સ્થાયી થયા છે તેમજ અનેક ભક્તોએ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ શુભ પ્રસંગે ભોળાનાથના દર્શનથી ભાવવિભોર થયેલા ભક્તોએ પ્રાર્થના કરી કે મહાદેવ સૌને સુખી સમૃદ્ધ બનાવે.
