આણંદ, શનિવાર:
અમદાવાદમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચિખોદરા ગામના પુત્ર દુષ્યંત કુમાર અશોકભાઈ પટેલ અને નીતાબેન અશોકભાઈ પટેલના ડીએનએ સેમ્પલની પુષ્ટિ બાદ આજે તેમના પાવન દેહને પોલીસ બંદોબસ્ત સાથે વતન લવાયા હતા.

મૃતદેહ ચિખોદરા પહોંચતા જ સમગ્ર ગામ શોકમય બની ગયું હતું. પરિવારજનોનો હૃદયવિદારી રડધમાળો, આસપાસનો ગમગીન માહોલ તથા ગામજનોની ભીની આંખો સમગ્ર ઘટનાના દુઃખદ સંજોગો વર્ણવી રહી હતી

.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે પણ ચિખોદરા ગામની મુલાકાત લીધી હતી. તેમણે મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી અને દુઃખી પરિવારોને શાંત્વના આપી.

અંતિમવિધિમાં વહીવટી અને પોલીસ તંત્રના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. શોકમગ્ન વાતાવરણમાં પૂર્ણ કરાયેલા આ વિધિ માટે વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા અને સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.
આ દુર્ઘટનાએ માત્ર ચિખોદરા નહીં, પણ સમગ્ર ગુજરાત અને દેશને ઊંડો શોક અનુભવ્યો છે.
